ઈઝરાયેલમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે 700 જેટલા ગુજરાતીઓ ફસાયા છે. આ તરફ હવે ઈઝરાયેલમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા ચાલુ થઈ છે. મહત્વનું છે કે, ઈન્ટરનેટ સેવા ચાલુ હોવાથી સ્વજનોને આંશિક રાહત મળી છે. પ્રાથમિક વિગતો મુજબ ગુજરાત, રાજસ્થાનના યુવાનો 3 દિવસથી ઘરમાં કેદ હોવાનું પણ સામે આવ્યું છે.
ઈઝરાયેલમાં યુદ્ધના તણાવ ભર્યા માહોલમાં 700 ગુજરાતીઓ ત્યાં ફસાયા છે. ગુજરાત અને રાજસ્થાનના યુવાનો ત્રણ દિવસથી ધરમાં કેદ હોવાની વચ્ચે હવે ઈઝરાયેલમાં મોબાઈલ-ઈન્ટરનેટ ચાલુ હોવાથી સ્વજનોને આંશિક રાહત મળી છે. ઈઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને તરફથી હુમલા ચાલુ છે. આ યુદ્ધ હમાસના આતંકવાદીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઈઝરાયેલે જોરદાર વળતો હુમલો કર્યો હતો. ઈઝરાયેલે હમાસના આતંકવાદીઓના ઘણા ઠેકાણાઓને નષ્ટ કરી નાખ્યા છે.
હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં દરિંદગીની હદ વટાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઈઝરાયેલમાં વડોદરાના 250થી વધુ લોકો ફસાયા છે. જેમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ થાય છે. નર્સિંગના વ્યવસાય સાથે સંકડાયેલી મહિલાઓ ઈઝરાયેલમાં ફસાઇ ગઈ છે. ઇઝરાયેલની હોસ્પિટલોમાં ભારતીય નર્સો વર્ષોથી સેવા આપે છે. ગુજરાતની મહિલાઓ યુદ્ધમાં ફસાતા ગુજરાતમાં પરિવારજનો ચિંતામાં મુકાયા છે. ભારતીય વિદેશ મંત્રાલય યુદ્ધની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
ગતરોજ રાજકોટના સોનલબેન ગેડીયાએ ઈઝરાયેલની સ્થિતિનો વીડિયો શેર કર્યો હતો. ઈઝરાયેલની પરિસ્થિતિ વિશે સોશિયલ મીડિયામાં મારફતે તેમણે જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ત્રાસવાદી સંગઠન રોડ ઉપર કોઈપણ દેશના નાગરિક પર હુમલો કરે છે. બાટીયમ સિટીમાં રાત્રે ધમાકા થયા હતા પરંતુ અત્યારે શાંતિ છે. વધુમાં કહ્યું હતું કે, હાલમાં બધા નાગરિકો સુરક્ષિત જગ્યાએ છે. હાલમાં ગાઝા તરફથી ધડાકાના અવાજ આવી રહ્યા છે. સોનલબેને જણાવ્યું હતું કે, મિસાઈલ પણ અત્યારે છોડવામાં આવી રહી છે. મુખ્ય માર્ગ તેમજ મુખ્ય બજાર ઉપર જવા ઇઝરાયલ સરકારે મનાઈ કરી છે