લગભગ દોઢ માસના યુદ્ધ બાદ ઈઝરાયેલ તથા ગાઝાપટ્ટી સ્થિત હમાસ આતંકી સંગઠન વચ્ચે યુદ્ધવિરામની સમજુતી થઈ છે. ઈઝરાયેલ તેના 50 અપહૃતોની મુક્તિના બદલામાં આગામી ચાર દિવસ સુધી ગાઝામાં હવાઈ હુમલા બંધ રાખશે તથા જમીન પર હુમલામાં પણ આક્રમક કાર્યવાહી કરશે નહી.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાનયાહુના અધ્યક્ષપદ હેઠળ મળેલી કેબીનેટ એ આ ચાર દિવસના યુદ્ધ વિરામને મંજુરી આપી છે. જેમાં હમાસને યુદ્ધના પ્રારંભે જ જે રીતે 200થી વધુ ઈઝરાયેલી અને અન્ય દેશોના નાગરિકોને બંધક બનાવ્યા હતા તેમાંથી 50ને મુક્ત કરવા તૈયારી દર્શાવાઈ છે. જો કે ઈઝરાયેલી કેબીનેટમાં આ પ્રકારે યુદ્ધવિરામનો વિરોધ થયો હતો.
ખાસ કરીને કટ્ટરવાદી ધાર્મિક જિયોનિજમ પક્ષે તેનો વિરોધ કર્યો હતો અને ફકત 50 નહી તમામ બંધકોને મુક્ત કરાવાય તેવી માંગ કરી હતી પણ પ્રસ્તાવ બહુમતીથી મંજુર થયો હતો. હમાસ રોજ 12-13ના ગ્રુપમાં અપહૃતોને મુક્ત કરશે. જેમાં મહિલા-બાળકોને તથા સિનીયર સીટીઝનોને અગ્રતા અપાશે તો બીજી તરફ ઈઝરાયેલ 150થી 300 જેટલા પેલેસ્ટાઈન કેદીઓને પણ મુક્ત કરશે. આ ઉપરાંત ગાઝામાં માનવીય સહાયતાને પણ મંજુરી અપાશે.