પાકિસ્તાનમાં શરણ લઈ રહેલા અને ભારત માટે વોન્ટેડ અનેક આતંકીઓ તથા માફીયાઓના ખાસ ગણાતા નજીકના લોકોના રહસ્ય મોત વચ્ચે હવે ભારતના વોન્ટેડ- નંબર- વન દાઉદ ઈબ્રાહીમને પણ ઝેર આપી તેની હત્યાનો પ્રયાસ થયો હોવાના ‘ખબર’ સોશિયલ મીડીયામાં વાયરલ થયા છે તથા દાઉદ હાલ કરાચીની એક હોસ્પીટલમાં તે સારવાર હેઠળ હોવાનું પણ જણાવ્યું છે અથવા તો તે મૃત્યુ પણ પામ્યો હોય તેવી સંભાવના આ ડિજીટલ મીડીયામાં દર્શાવાઈ રહી છે. પાકના કાર્યવાહક વડાપ્રધાન અનવારૂલ હકકના નામથી ચાલતા એક ટવીટર હેન્ડલ (એકસ)માંથી દાઉદના મૃત્યુના સમાચાર અપાયા છે તે વાયરલ થઈ છે.
ધ ફ્રી પ્રેમ જર્નલના રિપોર્ટ મુજબ દાઉદ ઈબ્રાહીમ કરાચીમાં કઈ હોસ્પીટલમાં દાખલ છે અને તેને કયાં- કઈ રીતે ઝેર અપાયુ તે અંગે તથા તે મૃત્યુ પામ્યો છે કે નહી તે મુદે પણ રહસ્ય છે. 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટ બાદ દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાન નાસી છુટયો હતો અને તે કરાચીમાં સ્થાયી થયો હતો તથા પાક. જાસૂસી એજન્સીના સહયોગથી ત્યાંથી જ ભારતમાં તેની માફીયા ગેંગ તથા ભારત વિરોધી આતંકી સહિતની પ્રવૃતિ ચલાવે છે.
જો કે પાકે કદી પણ દાઉદ તેને ત્યાં હોવાનું સતાવાર રીતે સ્વીકાર્યુ નથી. દાઉદના સ્વાસ્થ્ય અંગે અવારનવાર અનેક પ્રકારના ઉલટાપુલટા ખબર આવે છે તેનો ચાર દશકાથી કોઈ અપડેટ ફોટો પણ મળ્યો નથી અને ફકત એ જ નિશ્ચિત થયું હતું કે તેની પુત્રીના લગ્ન પાકના પુર્વ ક્રિકેટર જાવેદ મિયાદાદના પુત્ર સાથે થયા છે તે હવે દુનિયાભરમાં ડ્રગ રેકેટ ચલાવે છે તથા ખાસ કરીને અફઘાનમાં જે અફીણ વિ.નું ઉત્પાદન થાય છે તેની પ્રોસેસીંગ કરી હેરોઈન સહિતના માદક દ્રવ્યો પણ ભારત અને દુનિયાના અનેક દેશોમાં તે સપ્લાય કરે છે. પાકની શક્તિશાળી જાસૂસી એજન્સી તથા પાક સેનાનું તેને પીઠબળ છે જેથી તે પાકમાં સલામત છે.
કોઈ ઝેર અપાયુ નથી, દાઉદ ફીટ છે, છોટા શકીલનો દાવો
માફિયા ડોન દાઉદ ઈબ્રાહીમને કરાચીમાં ઝેર અપાયું હોવાના અહેવાલ પર તેના ખાસ સાથી અને દાઉદ ગેંગના નંબર ટુ ગણાતા છોટા શકીલે દાવો કર્યો છે કે ‘ભાઈ’ને ઝેર અપાયું નથી તે ફીટ છે. ‘હિન્દુસ્તાન’ સમાચાર દ્વારા છોટા શકિલનો આ દાવો પ્રકાશિત કરાયો છે.
પાકમાં ઈન્ટરનેટ સેવા પણ ઠપ્પ!
ગુગલ સહિતના સર્વર પણ કામ કરતા નહી હોવાનો દાવો: દાઉદના ખબર ફેલાતા અટકાવવા પ્રયાસ! અનેક શહેરોમાં એલર્ટના પણ રિપોર્ટ
પાકમાં ભારતના વોન્ટેડ દાઉદ ઈબ્રાહીમને ઝેર અપાયા અને તેના મોત સુધીના ચગી રહેલા અહેવાલ માટે હવે પાકના આરૂઝ કાઝમીએ યુટયુબ પર એક વિડીયો પોષ્ટ કર્યો છે જેમાં એવી શંકા વ્યક્ત થઈ છે કે પાકમાં આ ખબર પ્રસરે નહી તે માટે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે તથા એક પણ સોશ્યલ મીડીયા કામ કરતા નથી.
પુરા પાકમાં ઈન્ટરનેટ સેવા ખત્મ કરવામાં આવી હોવાના અહેવાલ વચ્ચે એ પણ તર્ક લગાવાયા છે કે પાકના પુર્વ વડાપ્રધાન ઈમરાનખાનના પક્ષની રેલીઓ યોજાઈ રહી છે તેને પરિણામે હિંસા ફેલાઈ નહી તે માટે ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. જયારે પાકના અનેક શહેરોમાં એલર્ટના પણ આદેશ અપાયાના અહેવાલ છે.