વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નાસિકના કાલારામ મંદિરમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. મંદિરના દર્શન કર્યા બાદ વડાપ્રધાને મંદિર પરિસરની સફાઈ કરી હતી.પીએમ મોદીનો મંદિરમાં સફાઈ કરતો વીડિયો પણ સામે આવ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે દેશવાસીઓને દેશના તમામ મંદિરો અને તીર્થક્ષેત્રોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવા માટે આહ્વાન કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને કાલારામ મંદિરની મુલાકાત લેવાનું અને મંદિર પરિસરની સફાઈ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. હું દેશવાસીઓને ફરી એક વખત વિનંતી કરીશ કે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર દેશના તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવો અને પોતાનું શ્રમ દાન કરો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણા દેશના ઋષિ-મુનિઓથી લઈને સામાન્ય માનવી સુધી દરેકે યુવા શક્તિને હંમેશા સર્વોપરી રાખી છે. શ્રી અરબિંદો કહેતા હતા કે જો ભારતે પોતાના લક્ષ્યો હાંસલ કરવા હોય તો ભારતના યુવાનોએ સ્વતંત્ર વિચાર સાથે આગળ વધવું પડશે. સ્વામી વિવેકાનંદ પણ કહેતા હતા કે ભારતની આશા ભારતના યુવાનોના ચરિત્ર અને પ્રતિબદ્ધતા પર ટકેલી છે. શ્રી અરવિંદો અને સ્વામી વિવેકાનંદનું આ માર્ગદર્શન આજે 2024 માં ભારતના યુવાનો માટે એક મહાન પ્રેરણા છે.