હાઈલાઈટ્સ
- હિંસામાં એક મહિલા સહિત એક ભૂપપૂર્વ સૈનિકનું મોત
- કાંગપોકપી જિલ્લાના કુકી-જો સમુદાયના બે લોકોના મોત
- સોમવારે સ્થિતિ ગંભીર બનતા બાદ આજે રાજ્યના ત્રણ જિલ્લામાં કર્ફ્યુ
- 5 દિવસ માટે ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે
હિંસાની અલગ-અલગ ઘટનાઓમાં, કાંગપોકપી જિલ્લાના કુકી-જો સમુદાયના બે લોકો (એક મહિલા અને એક ભૂતપૂર્વ સૈનિક) માર્યા ગયા હતા.
મણિપુર હિંસાઃ દેશના ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરમાં હિંસાની જ્વાળાઓ વધવા લાગી છે. સોમવારે અહીં સ્થિતિ ગંભીર બની હતી, જે બાદ આજે રાજ્યના ત્રણ જિલ્લામાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. જે જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે તેમાં ઇમ્ફાલ ઇસ્ટ, ઇમ્ફાલ વેસ્ટ અને થૌબલનો સમાવેશ થાય છે. હિંસાના ડરથી આ ત્રણ જિલ્લાના વહીવટીતંત્રે મંગળવારે સવારે 11 વાગ્યાથી કર્ફ્યુ લગાવી દીધો હતો. અહીં 5 દિવસ માટે ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, અહીં હિંસાની અલગ-અલગ ઘટનાઓમાં કાંગપોકપી જિલ્લાના કુકી-જો સમુદાયના બે લોકો (એક મહિલા અને એક ભૂતપૂર્વ સૈનિક) માર્યા ગયા હતા. મહિલાના શરીર પર બોમ્બના નિશાન હતા. જિલ્લાના થંગબાહ ગામમાં એક ચર્ચની બહાર તેનો મૃતદેહ મળી આવ્યો હતો. વાસ્તવમાં, થંગબાહ ગામ પાસે CRPF કેમ્પ પર રવિવારે રાત્રે હુમલાખોરોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન થયેલા ક્રોસ ફાયરિંગમાં મહિલાનું મોત થયું હોવાની આશંકા છે.
જણાવી દઈએ કે, જે ભૂતપૂર્વ સૈનિકનો મૃતદેહ મળ્યો હતો તેનું થોડા દિવસો પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું. સોમવારે તેનો મૃતદેહ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના સેકમાઇ ગામમાંથી મળી આવ્યો હતો. હિંસાને કારણે અહીં છેલ્લા 2 દિવસમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. તમને જણાવી દઈએ કે, રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહ રવિવારે રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને મળ્યા હતા અને તેમને રાજ્યની સ્થિતિ વિશે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે કુકી આતંકવાદીઓ અત્યાધુનિક શસ્ત્રો, રોકેટ મિસાઇલો અને ડ્રોનની મદદથી નાગરિકો અને સુરક્ષા દળો પર હુમલો કરી રહ્યા છે, તેથી તેમની સામે સીમા પાર કાર્યવાહી શરૂ કરવી જોઈએ. મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજ્યપાલને કહ્યું કે જો કેન્દ્ર ઇચ્છે તો કલમ 355 લગાવીને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા પર નિયંત્રણ મેળવી શકે છે.