ભારત કેનેડામાં કેટલીક શ્રેણીઓ માટે વિઝા સેવાઓ ફરી શરૂ કરવા જઈ રહ્યું છે. આ આદેશ આજથી (26 ઓક્ટોબર 2023)થી લાગુ થશે. જે શ્રેણીઓ માટે સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે તેમાં એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાનો સમાવેશ થાય છે. આ સમાચાર ભારતીય હાઈ કમિશન દ્વારા આપવામાં આવ્યા છે.
આ પહેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. સંબંધો હજુ પણ નાજુક તબક્કે છે. પહેલા કેનેડા તરફથી ભારત જનારા પ્રવાસીઓ માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરવામાં આવી હતી. ત્યારબાદ ખાલિસ્તાન સમર્થકોના ખતરાને ધ્યાનમાં રાખીને ભારતે ભારતીય નાગરિકો માટે માર્ગદર્શિકા પણ જારી કરી હતી.
જણાવી દઈએ કે, 21 સપ્ટેમ્બરે, કેનેડામાં ભારત માટે વિઝા સેવાઓ પૂરી પાડતી એજન્સીએ ઓપરેશનલ કારણોસર થોડા સમય માટે આ સુવિધાને સ્થગિત કરી દીધી હતી. BLS ઈન્ટરનેશનલ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશનલ કારણોસર કેનેડામાં ભારતીય વિઝા સેવાઓને તાત્કાલિક અસરથી એટલે કે 21 સપ્ટેમ્બર, 2023થી બીજા સમાચાર સુધી સ્થગિત કરવામાં આવી છે. કેનેડામાં ભારતીય વિઝા સેવાઓના પોર્ટલ પર એક સૂચના પ્રકાશિત કરવામાં આવી હતી. આમાં, ભારતીય મિશનને સંબોધિત કરતી વખતે, કહેવામાં આવ્યું હતું કે ઓપરેશનલ કારણોસર, ભારતીય વિઝા આપવાની પ્રક્રિયાને આગામી આદેશો સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકોને અપડેટ માટે વેબસાઇટ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું હતું.