રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ વર્ષે ફરી એકવાર રેપો રેટમાં કોઇ ફેરફાર નથી કર્યો એટલે કે રેપોરેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. ત્રણ દિવસની મોનેટરી પોલિસી રિવ્યુ મીટિંગ બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે કમિટીએ ફરી એકવાર રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. રેપો રેટ હાલમાં 6.5 ટકા છે. જોકે, તેમણે કહ્યું કે હવે સેન્ટ્રલ બેંક આના પર બાજ નજર રાખશે.
નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતીય રિઝર્વ બેંકની પાંચમી નાણાકીય નીતિની બેઠકમાં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટ અત્યારે સ્થિર રહેશે. બેઠકમાં 6માંથી 5 સભ્યો રેપો રેટને સ્થિર રાખવાના નિર્ણય પર સહમતિ બતાવી હતી. રિઝર્વ બેંકનું’withdrawal of accommodation’ વલણ અકબંધ છે.ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે મોંઘવારી દરને 4 ટકાથી નીચે લાવવા પર ફોકસ કરવામાં આવશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ છેલ્લી ઘણી બેઠકોથી રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખ્યો છે. નિષ્ણાતો નાણાકીય વર્ષ 2023-24ની પાંચમી બેઠકમાં પણ રેપો રેટ સ્થિર રાખવાનું અનુમાન કરી રહ્યા હતા.કેટલાક નિષ્ણાતો તો એવું પણ કહે છે કે સેન્ટ્રલ બેંક જૂન 2024 સુધી રેપો રેટમાં કોઈ ફેરફાર કરવા જઈ રહી નથી. કારણ કે RBIનો ટાર્ગેટ મોંઘવારી દરને 4 ટકાથી નીચે લાવવાનો છે.
રેપો રેટ એ દર છે કે જેના પર રિઝર્વ બેંક અન્ય બેંકોને લોન આપે છે અને બેંકો આ નાણાં લોકોને લોન તરીકે આપે છે. આ કારણોસર, જ્યારે પણ રેપો રેટમાં ફેરફાર થાય છે, ત્યારે તેની સીધી અસર લોનની EMI પર પડે છે.એટલે કે જો રેપો રેટ વધે છે તો લોનની EMI પણ વધે છે.