રાજ્યના ખેડૂતો તેમની ઉપજના સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ખરીફ પાક વિશે ખેડૂતોને જાગૃત કરવા તેમજ પાકને કાતરા (હેરી કેટરપિલર)થી બચાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
હાઈલાઈટ્સ
- ખેડૂતો તેમની ઉપજના સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ
- ખરીફ પાક વિશે ખેડૂતોને જાગૃત કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર
ખેતી નિયામકની કચેરીની માર્ગદર્શિકામાં જણાવ્યાનુસાર કાતરાથી પાકને બચાવવા શેઢા-પાળા પરથી ઘાસ દૂર કરી પહેલા વરસાદ બાદ શેઢા-પાળાનાં ઘાસમાં મુકેલા ઇંડાનાં સમૂહને વીણી લેવા જ્યારે પ્રથમ વરસાદ બાદ હેક્ટર દીઠ એક પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી કૂદીઓને આકર્ષીને નાશ કરવાથી આ જીવાણું નાશ પામે છે. આ જીવાણુંને વધુ અસરકારક રીતે કાબૂમાં લેવા માટે લીંબોળીના મીંજનો ભૂકો અથવા લીમડાના પાન 500 ગ્રામ એટલે કે 5 ટકા અર્કનો 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. આ ઉપરાંત પહેલા વરસાદ બાદ 8 થી 10 દિવસે શેઢાપાળા ઉપર અથવા ઊભા પાકમાં કાતરાનું નુકસાન જોવા મળે તો કિવનાલફોસ 1.5 ટકા ભૂકી ૨૫ કિ.ગ્રા.પ્રતિ હેક્ટર પ્રમાણે છંટકાવ કરવાથી કાતરા નાશ પામે છે.
વધુ ઉપદ્રવ જણાય ત્યારે થાયોડીકાર્બ 75 વેપા 15 ગ્રામ અથવા ઈન્ડોકઝાકાર્બ 15.8 ઈસી 4 મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ 5 એસજી 4 ગ્રામ 10 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવું જોઇએ. દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલા ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ ઉપયોગ કરવા માર્ગદર્શિકામાં વધુમાં જણાવવામાં આવ્યું છે.