હેડલાઈન :
- અમેરિકાએ પાકિસ્તાનના રાજદૂતને પ્રવેશવા ન દીધા
- US ઈમિગ્રેશન અધિકારીઓએ એરપોર્ટથી દેશનિકાલ કર્યા
- તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કે.કે.અહેસાન વાગન પ્રવેશ નહી
- US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ઇમિગ્રેશન નિયમો પર કડક વલણ
- ઇમિગ્રેશન સંબંધિત વાંધાઓને લઈ US અધિકારીઓએે દેશ છોડવા કહ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા પછી,ડોનાલ્ડ ટ્રમ્પ ઇમિગ્રેશન નિયમો પર ખૂબ જ કડક વલણ અપનાવી રહ્યા છે.દરમિયાન તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને તેમને પાછા મોકલી દેવામાં આવ્યા છે.
એક અહેવાલ મુજબ વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ આપી છે કે તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કે.કે.અહેસાન વાગનને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા છે.ઇમિગ્રેશન સંબંધિત વાંધાઓને કારણે, યુએસ અધિકારીઓએ તેમને દેશ છોડવાનું કહ્યું,ત્યારબાદ તેમને પાછા મોકલી દેવામાં આવ્યા હતા.
રાજદૂત કે.કે.એહસાન વાગન પાસે માન્ય યુએસ વિઝા અને બધા જરૂરી દસ્તાવેજો હતા અને તે લોસ એન્જલસની વ્યક્તિગત મુલાકાતે ગયા હોવાના અહેવાલ છે.પરંતુ અમેરિકન ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને એરપોર્ટ પર રોક્યા અને ત્યારબાદ તેમને દેશનિકાલ કરવામાં આવ્યા.જોકે યુએસ વહીવટીતંત્રના આ પગલા બાદ હવે રાજદ્વારી પ્રોટોકોલ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.આ ઘટનાને ગંભીરતાથી લેતા એવી શક્યતા છે કે પાકિસ્તાન સરકાર ટૂંક સમયમાં રાજદૂત વાગનને ઇસ્લામાબાદ પાછા બોલાવી શકે છે.
આ ઘટના અંગે વિદેશ મંત્રી ઇશાક ડાર અને વિદેશ સચિવ અમીના બલોચને જાણ કરવામાં આવી છે.વિદેશ મંત્રાલયે લોસ એન્જલસમાં પાકિસ્તાની કોન્સ્યુલેટને આ મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કે.કે.અહેસાન વાગન લાંબા સમયથી પાકિસ્તાન વિદેશ સેવા સાથે સંકળાયેલા છે.તેમની કારકિર્દી દરમિયાન તેમણે કાઠમંડુમાં પાકિસ્તાની દૂતાવાસમાં સેકન્ડ સેક્રેટરી તરીકે સેવા આપી છે.આ ઉપરાંત તેમણે લોસ એન્જલસમાં પાકિસ્તાની કોન્સ્યુલેટમાં ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ,મસ્કતમાં પાકિસ્તાનના રાજદૂત અને નાઇજરમાં પાકિસ્તાની દૂતાવાસમાં પણ સેવા આપી છે.