હેડલાઈન :
- પહેલગામ આતંકી હુમલામાં સામેલ આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની કાર્યવાહી
- સુરક્ષા દળોએ કાર્યવાહી કરીને આદિલનું ઘર ઉડાવ્યું તો આસિફનું ઘર બુલડોઝરથી તોડ્યું
- આદિલ થોકર ઉર્ફે આદિલ ગુરી પર હુમલાનું આયોજન અને અમલમાં મદદ કરવાનો આરોપ
- આદિલ 2018માં અટારી-વાઘા સરહદ દ્વારા કાયદેસર રીતે પાકિસ્તાન ગયો હોવાની માહિતી
- આદિલે આતંકવાદી છાવણીમાં તાલીમ લઈ ગયા વર્ષે જમ્મુ-કાશ્મીર પાછો ફર્યાની માહિતી
- કાશ્મીર ખીણના પહેલગામમ હુમલામાં સામેલ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના હતા
પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ સામે હવે સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી કરી છે.જેમાં આદિલનું ઘર બોમ્બથી ઉડાવવામાં આવ્યુ તો આસિફનું ઘર બુલડોઝરથી તોડીપાડવામાં આવ્યુ હતુ.
અનંતનાગ જિલ્લાના બિજબેહરાના ગોરી વિસ્તારમાં આવેલા પહેલગામ હુમલામાં સામેલ સ્થાનિક આતંકવાદી આદિલ હુસૈન થોકરના ઘર પર સુરક્ષા દળોએ બોમ્બમારો કર્યો હતો.આદિલ થોકર ઉર્ફે આદિલ ગુરી તરીકે ઓળખાતા આતંકવાદી પર 22 એપ્રિલના રોજ પહેલગામની બૈસરન ખીણમાં થયેલા હુમલાનું આયોજન અને અમલ કરવામાં પાકિસ્તાની આતંકવાદીઓને મદદ કરવાનો આરોપ છે. જ્યારે, ત્રાલમાં સ્થિત આ હુમલામાં સામેલ અન્ય સ્થાનિક આતંકવાદી આસિફ શેખનું ઘર જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા બુલડોઝરનો ઉપયોગ કરીને તોડી પાડવામાં આવ્યું હતું.
– આતંકવાદીઓમાં બે સ્થાનિક લોકો પણ સામેલ હતા
લશ્કરના સૂત્રોએ જણાવ્યું હતું કે, 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં લશ્કર-એ-તૈયબા (LeT)ના ચાર આતંકવાદીઓના એક જૂથે, સ્ટીલની ગોળીઓ, AK-47 રાઇફલ્સથી સજ્જ અને બોડી કેમેરા પહેરેલા, હિન્દુ પ્રવાસીઓને નિશાન બનાવ્યા અને ગોળીબાર કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા અને ભારતના વિવિધ રાજ્યોમાંથી જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેવા આવ્યા હતા. આતંકવાદીઓમાં બે સ્થાનિક લોકો પણ સામેલ હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને સ્થાનિક આતંકવાદીઓની ઓળખ બિજબેહરા નિવાસી આદિલ હુસૈન થોકર અને ત્રાલ નિવાસી આસિફ શેખ તરીકે થઈ છે.
– હુમલામાં સામેલ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના હતા
લશ્કરી સૂત્રોના જણાવ્યા અનુસાર, આદિલ 2018માં અટારી-વાઘા સરહદ દ્વારા કાયદેસર રીતે પાકિસ્તાન ગયો હતો. પાકિસ્તાનમાં રોકાણ દરમિયાન, તેણે એક આતંકવાદી છાવણીમાં તાલીમ લીધી અને ગયા વર્ષે જમ્મુ અને કાશ્મીર પાછો ફર્યો. પહેલગામ હુમલાના કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે કેટલાક આતંકવાદીઓ પશ્તુન ભાષામાં એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હુમલામાં સામેલ તમામ આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના હતા. જોકે, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ પણ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. તેમણે કહ્યું કે TRF એ લશ્કર-એ-તૈયબાનું એક ફ્રન્ટ ટેરર ગ્રુપ છે, જેનો ઉપયોગ હુમલાને એક સ્વદેશી જૂથના કાર્ય તરીકે દર્શાવવા માટે કરવામાં આવ્યો હતો.