હેડલાઈન :
- પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ
- સરહદ પર વધતા તણાવને લઈ ગુજરાતના મુખ્યમંત્રીએ બોલાવી બેઠક
- ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મુખ્ય સચિવ અને વરિષ્ઠ સચિવો બેઠકમાં જોડાયા
- સરહદી જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓએ વીડિયો કોન્ફરન્સથી જોડાયા
- જિલ્લામાં હાથ ધરાયેલા સુરક્ષા સલામતી પ્રબંધનની વિગતો વીડિયો કોન્ફરન્સથી આપી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્વગ્રાહી સમિક્ષા કરીને આવશ્યક માર્ગદર્શન આપ્યું
- એરફોર્સ,આર્મી,નેવી,કોસ્ટ ગાર્ડ,BSF ની સતર્ક કામગીરીની સરાહના પણ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી.
Hon’ble CM Shri @Bhupendrapbjp held a high-level meeting at State Emergency Operation Centre in Gandhinagar to review Gujarat’s alertness and preparedness as a border state amid the prevailing tension between India and Pakistan. The CM also conducted a video conference with the… pic.twitter.com/fMl2zgHKEz
— CMO Gujarat (@CMOGuj) May 9, 2025
મુખ્યમંત્રીએ ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઈ,જમીની અને હવાઈ સીમાથી જોડાયેલા જિલ્લાઓને હાઈએલર્ટ પર મૂકવામાં આવેલા છે તે સંદર્ભમાં વહીવટી તંત્ર,પોલીસ અને અન્ય વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ પાસેથી તેમના જિલ્લામાં હાથ ધરાઇ રહેલી સુરક્ષા-સલામતીની આગોતરી વ્યવસ્થાની વિગતો પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા મેળવી હતી.
મુખ્યમંત્રીએ શુક્રવારે સવારે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યસચિવ પંકજ જોષીની ઉપસ્થિતિમાં સરહદી વિસ્તારના કચ્છ અને બનાસકાંઠા તથા પાટણ અને જામનગર જિલ્લાઓ સહિત રાજ્યની એકંદર સ્થિતિની ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી.
તેમણે ખાસ કરીને પ્રવર્તમાન સ્થિતિમાં બધા જિલ્લાઓના કંટ્રોલરૂમ અને ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત કાર્યરત રહે તે માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર આપાત કાલીન સ્થિતિમાં સંપર્ક જળવાઈ રહે તે માટે હોટલાઇન,સેટેલાઈટ ફોન જેવા દૂરસંચાર અને સંપર્કના વૈકલ્પિક માધ્યમોની ચકાસણી કરી લેવાની પણ તાકીદ કરી હતી.તો મુખ્યમંત્રીએ હાલની તનાવપૂર્ણ સ્થિતિમાં સંબંધિત જિલ્લાઓના સરહદી ગામોના ઈવેક્યુએશન પ્લાન કાર્યરત કરવા સાથોસાથ નાગરિક સંરક્ષણની સજ્જતા, સુરક્ષિત સ્થાનો-સેઈફ હાઉસની ઓળખ તેમજ પાણી,ખોરાક અને અન્ય સંસાધનોની પર્યાપ્ત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા પણ બેઠકમાં સૂચનાઓ આપી હતી.
નાગરિકોને આવશ્યક વસ્તુઓનો અને પેટ્રોલ-ડીઝલ જેવા ફ્યુઅલનો પુરવઠો મેળવવામાં કોઈ તકલીફ ન રહે તે માટે સંબંધિત જિલ્લા અને તંત્ર વાહકોને આ જથ્થા નો પૂરતો સંગ્રહ તકેદારીના ભાગરૂપે કરી લેવા પણ મુખ્યમંત્રીશ્રીએ સૂચનો કર્યા હતા.આરોગ્ય વિભાગ અને વાહન વ્યવહાર વિભાગ પણ પૂરી વ્યવસ્થાઓ અને મેન પાવર સાથે કોઈ પણ વિકટ સ્થિતિ ને પહોંચી વળવા સજ્જ રહે તેવા નિર્દેશો પણ મુખ્યમંત્રીએ આ સમીક્ષા બેઠકમાં આપ્યા હતા.
સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી લેવા તેમજ મોબાઇલાઈઝેશન અને ચેતવણી માટેની વ્યવસ્થા ચકાસી લેવાની સ્પષ્ટ સૂચનાઓ પણ મુખ્યમંત્રીએ જિલ્લાના વડાઓને આપી હતી.તેમણે લોકોમાં ખોટો ભય કે દહેશત ન ફેલાય અને અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે લોકજાગૃતિ અભિયાન શરૂ કરવા પણ સૂચવ્યું હતું.લોકોને પણ સરકાર ના વિવિધ વિભાગોના અધિકૃત સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવતી સત્તાવાર માહિતી અને સમાચારો અને સૂચનાઓ પર ધ્યાન આપવાનો તેમણે અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને સરહદી વિસ્તારો કે ગામોમાં કોઈપણ સંદિગ્ધ ગતિવિધિઓ,શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓ વિશે માહિતી મળે તો તુરંત જ તંત્ર એલર્ટ મોડ પર રહીને તત્કાલ કાર્યવાહી કરે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આર્મી,એરફોર્સ,નેવી,કોસ્ટ ગાર્ડ,બી.એસ.એફ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓની સતર્ક કામગીરીની સરાહના કરતાં તેમને જરૂરીયાત મુજબની મદદ રાજ્ય સરકાર દ્વારા ત્વરાએ મળશે તેવી ખાતરી પણ આપી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ,પોલીસ મહાનિદેશક વિકાસ સહાય ઉપરાંત મહેસુલ,ઊર્જાના અધિક મુખ્ય સચિવશ્રીઓ,શહેરી વિકાસ,ઉદ્યોગ,પાણી પુરવઠા,નાગરિક પુરવઠા,શહેરી વિકાસ,વાહન વ્યવહાર અને આપત્તિ વ્યવસ્થાપન સહિતના વિભાગોના અગ્ર સચિવો મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ અને કેન્દ્રીય એજન્સીઓ એરફોર્સ તેમજ લશ્કર અને બીએસએફ અધિકારીઓ પણ જોડાયા હતા.
તો વળી ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ હતી.રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના તમામ મહાનગરોના પોલીસ કમિશનર, રેન્જ વડા, જિલ્લા પોલીસ વડા સહિત સાયબર ક્રાઇમના અધિકારીઓ જોડાયા હતા.
જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશ વિરોધી તેમજ સેનાનું મનોબળ તુટે તે પ્રકારના લખાણો પોસ્ટ કરનાર લોકો સામે સઘન વોચ રાખી આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સૂચના આપી છે.ઉપરાંત આર્મી-સૈન્યની મૂવમેન્ટ અંગે કોઈ પણ પ્રકારની માહિતી શેર કરનાર કે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરનાર સામે પણ કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.