KEY POINTS :
- “27 જૂન 2025ને અષાઢી બીજના રોજ અમદાવાદમાં યોજાશે 148મી રથયાત્રા”
- “ભગવાન જનન્નાથ ભાઈ બલભદ્ર અને બહેલ સુભદ્રા સાથે નિકળશે નગરચર્ચા કરશે”
- “રથયાત્રા પૂર્વે 11 જૂનના રોજ અમદાવાદમાં ભગવાનની જળયાત્રા યોજાઈ”
- “સવારે 108 કળશ સાથે યોજાઈ ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ હતી”
- “સાબરમતીના નીરથી ભગવાન જગન્નાથને જયેષ્ઠા અભિશેક કરાયો હતો”
- “રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી,નિજ મંદિરના મહંત દિલીપદાસજી પણ જોડાયા”
- “રથયાત્રામાં જાણો પહિંદવિધિ કેવી રીતે થાય અને કોણ કરે ?”
- “ક્યારે શરૂ થઈ હતી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ?”
- “અમદાવાદમાં ભગવાન જગન્નાથનું મંદિર કોણે બંધાવ્યુ હતુ ?”
- “ભગવાન જગન્નાથની રથયાત્રામાં કોમી એકતાના દર્શન”
- “આઝાદી બાદ એક પણ વર્ષ રથયાત્રા બંધ રાખવી પડી નથી”
- “કોરોના કાળમાં પણ મંદિર પરિસરમાં રથયાત્રા ફરી હતી”
આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં દેવી-દેવતાઓની પૂજા-અર્ચના અને આરતીનું વિશેષ મહત્વ છે.તેમાં પણ તેમની શોભાયાત્રાઓ અને રથયાત્રાઓનું તો અનેરૂ મહત્વ છે.જેમાં ઓડિશાના પુરી ખાતે યોજાનાર જગન્નાથ રથયાત્રા અને તે બાદ દેશની બીજા નંબરની રથયાત્રા અટલે ગુજરાતમાં અમદાવાદ ખાતે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે.
– રથયાત્રા નિકળવાનું મહાત્મય શું ?
હિન્દુ ધાર્મિક પરંપરામાં ભગવાનના દર્શનનું મહાત્મય રહેલુ છે.અને તેમાં પણ જો ભગવાન સામે ચાલને ભક્તોને દર્શન આપવા આવે ત્યારે તો ભક્તો તેમની અતૂટ ભક્તિમાં લીન બનતા હોય છે.અને ભગવાના દર્શન માટે ઉમટી પડે છે.આ રથયાત્રામા પણ એવો જ ભાવ રહેલો છે.જેમાં ભગવાન નગર ચર્યા કરી ભક્તોને ઘરે બેઠા દર્શન આપવા આવે છે.તેથી હિન્દુ સંસ્કૃતિમાં રથયાત્રાનું ખૂબ જ મહત્વ રહેલુ છે.
– અષાઢી બીજના દિવસે જ નિકળે છે રથયાત્રા
અષાઢી બીજ એટલે ભક્તો અને ભગવાનના મિલનનો દિવસ હોય છે.કારણ કે આ દિવસે ભગવાન જગન્નાથજી,મોટા ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે રથમાં આરૂઢ થઈ નગરચર્યાએ નિકળે છે.અને ભક્તોને સામે ચાલીને દર્શનનો લ્હાવો આપે છે.આ પરંપરાને રથયાત્રા તરીકે ઓળખવામાં આવે છે.તે વખતે ભક્તોની શ્રદ્ધામાં વધારો થાય છે.
– ક્યાં-કયાં યોજાય છે ભગવાનની રથયાત્રા
દેશમાં સૌથી મોટી રથયાત્રા ઓડિશાના પુરીમાં નિકળે છે.આ ઉપરાંત દેશના અનેક રાજ્યોમાં ભગવાનની રથયાત્રાઓ યોજાય છે.ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ ખાતે પરંપરાગત રથયાત્રા યોજાય છે.અમદાવાદ ખાતે આવેલ જગન્નાથ મંદિરેથી રથયાત્રા શરૂ થાય છે.અને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મોડી રાત્રે નિજ મંદિરે પરત ફરે છે.વચ્ચે સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીનું મામેર ભરવાની પણ પરંપરા ચાલી આવે છે.ત્યાં સ્થાનિકો દ્વારા ભોજન પ્રસાદનું આયોજન કરાય છે. અમદાવાદ ઉપરાંત પાટણ,ભાવનગર સહિત રાજ્યમાં નાની-મોટી 55 જેટલી રથયાત્રાઓ પ્રતિવર્ષ યોજાય છે.આ વર્ષે એટલે કે 2025 માં અમદાવાદ ખાતે 148 મી રથયાત્રા યોજાશે મહત્વનું એ છે કે ગમે તે સ્થિતિ હોય પણ આઝાદી બાદથી ક્યારેય રથયાત્રા બંધ નથી રહી.હા જરૂર પડ્યા તેના રૂટ ટૂંકાવવા કે બદલવામાં આવતા હોય છે.
– અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ
અમદાવાદમાં પ્રથમ રથયાત્રા વર્ષ 1878માં નીકળી હતી.ગુજરાતની શાન સમાન ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે.હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ,બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે.ભગવાન જગન્નાથની આ રથયાત્રા વિશે કેટલીક રસપ્રદ વાતો જે ખરેખર જાણવા જેવી છે.2 જુલાઈ 1878ના રોજ સૌ પ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી.મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રા શરૂ કરાવી હતી.આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નિકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નિકળી નગરજનોને દર્શન આપે છે.આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નિકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નિકળી નગરજનોને દર્શન આપે છે.અમદાવાદ રથયાત્રા અને જગન્નાથ મંદિરનો ઇતિહાસ ભવ્ય છે.રથયાત્રાના દિવસે પૂર્વ અમદાવાદ જય જગન્નાથ,જય રણછોડ… નાદથી ગૂંજી ઉઠે છે અને સમગ્ર માહોલ ભક્તિમય બને છે.
– અમદાવાદમાં જગન્નાથ મંદિરની સ્થાપના કોણે કરી ?
આ મંદિરનો ઇતિહાસ અંદાજે 500 વર્ષ જુનો છે.આ ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિરની સ્થાપના સારંગજીદાસે કરી હતી.જગન્નાથ મંદિર પહેલા હનુમાનજીનું મંદિર હતું. આ મંદિરના નિર્માણ પાછળ એક આદેશ કારણભુત છે.સારંગજીદાસજીને સપનામાં જગન્નાથજીની મૂર્તી સ્થાપિત કરવાનો આદેશ મળ્યો હતો.જેથી તેઓ પુરીથી નીમકાષ્ઠાની બનેલી મૂર્તીઓ લાવ્યા અને સંપુર્ણ વિધિવિધાન સાથે આ મૂર્તીઓની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ.અષાઢીબીજના દિવસે એટલે કે 2 જૂલ1869થી અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત થઈ હતી.
અમદાવાદના જગન્નાથજી મંદિરમાં જગન્નાથપુરી મંદિરની જેમ તમામ પૂજા-વિધિઓ થતી હતી.1869થી અમદાવાદમાં રથયાત્રા નિકળવાની શરૂઆત થઈ હતી. ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભાઈઓ કે જેઓ નૃસિંહદાસજીના ભક્તો હતા તેમણે મોટાપાયા પર નીકળનારી રથયાત્રાની તૈયારીના પ્રારંભને લઇને નારિયેળના ઝાડના લાકડામાંથી ત્રણ રથ તૈયાર કરી અમદાવાદ પહોંચાડી દીધા હતા.પછી અષાઢ સુદ બીજના દિવસથી શરૂ થયેલી આ પરંપરા અત્યાર સુધી અખંડ રહી છે એટલે ભગવાનના રથ ખેંચવાનું કાર્ય ખલાસ ભાઈઓ જ કરે છે.
– અમદાવાદ જગન્નાથ મંદિરના ગાદીપતિઓ
અત્યાર સુધી જગન્નાથ મંદિરના 13 ગાદીપતિ થયા છે,જેમાંથી વર્તમાન મહંત દિલીપદાસજી અને નરસિંહદાસજી સિવાયના તમામ પરપ્રાંતીય હિંદીભાષી હતા. દિલીપદાસજી અમદાવાદમાં જ જન્મયા અને મોટા થયા છે,તેમના દાદાની મંદિરપરિસરમાં ચાની કિટલી હતી.
– આઝાદી પહેલાં અખાડાના યુવાનો રથયાત્રામાં તિરંગા લહેરાવતા
અમદાવાદની રથયાત્રાનો ઈતિહાસ ઘણો રોચક છે.અંગ્રેજના સમયમાં વ્યાયામ પ્રવૃત્તિઓ દ્વારા રાષ્ટ્રીય ચેતના જગાવવામાં આવતી હતી.જુદા-જુદા અખાડાઓના યુવાનો પોતાના ઉસ્તાદોના માર્ગદર્શન હેઠળ રથયાત્રામાં ત્રિરંગા લહેરાવતા હતા.1946ની રથયાત્રા સમયે માનવતાની રક્ષા માટે વસંતરાવ અને તેમના સાથી મિત્ર રજબ અલીએ આત્મબલિદાન આપ્યું હતું.
– ભરૂચના ભોઈ સમાજની ખલાસીઓએ રથ બનાવી આપ્યા
પહેલાના સમય દરમિયાન બળદગાડામાં રથયાત્રા કાઢવામાં આવતી હતી.જેની માટે ભરૂચના ખલાસીઓ અમદાવાદ આવ્યા અને રથયાત્રા માટે રથ બનાવી આપ્યા હતા.જેનું નિર્માણ નાળિયેરના ઝાડના થડમાંથી કરવામાં આવ્યું હતું. નાળિયેરનું થડ પ્રમાણમાં હળવું હોય છે,છતાં તે 300 કિલો રથનું વજન ઊચકી શકે છે.જોકે,આ લાક઼ડું ટકાઉ ન હોવાથી દર વર્ષે નવા રથ બનાવવાની જરૂર ઊભી થાય છે.20મી સદીની શરૂઆતના વર્ષોમાં સાગના વૃક્ષમાંથી બનેલા રથ તૈયાર કરવામાં આવ્યા,જે વજનમાં હળવા અને વધુ ટકાઉ હતા.
– વર્ષ 1950 માં ફરી નવા રથ બનાવાયા
વર્ષ 1950માં ફરી એક વખત રથ બનાવવામાં આવ્યા,ત્યારે પૈડાંની સંખ્યા ઘટાડીને 6 કરવામાં આવી હતી,જોકે તેમનું કદ વધ્યુ અને લગભગ 300 કિલોગ્રામ જેટલું કરવામાં આવ્યું.થોડા વર્ષો બાદ બાવળના લાકડાંના પૈડાંની ઉપર લોખંડની પ્લૅટ પણ બેસાડવામાં આવી.વર્ષ 1992માં તેમાં સ્ટિયરિંગ પ્રકારની વ્યવસ્થા બેસાડવામાં આવી.દર વર્ષે અષાઢી બીજના લગભગ દોઢેક મહિના અગાઉ જ મંદિર પરિસરમાં રથના સમારકામ અને રંગરોગાન સહિતની કામગીરી શરૂ થઈ જાય છે.
– ભગવાનના નવા રથની ડિઝાઈન
નવા રથની ડિઝાઇન એ રીતે તૈયાર કરવામાં આવી છે કે તે પોળોના સાંકડા રસ્તાઓ પરથી પણ સહેલાઈથી નીકળી શકે.આ રથ માટેનું લાકડું વઘઈથી મંગાવવામાં આવ્યું છે.રથોનાં પૈડાં સીસમના તથા રથ સાગના લાકડાંમાંથી બનાવવામાં આવ્યાં છે અને તેના નિર્માણમાં લગભગ ચાર વર્ષ જેટલો સમય લાગ્યો હતો.ભગવાન જગન્નાથનો રથ સફેદ કલરમાં છે અને તેની ઉપર દેવી-દેવતાની કોતરણી કરવામાં આવી છે.આ રથની થીમ સુદર્શનની છે.અશ્વિની થીમ પરનો ભાઈ બળભદ્રનો રથ લાલ તથા લીલા રંગથી રંગવામાં આવ્યો છે.આ સિવાય બહેન સુભદ્રાનો રથ નવદુર્ગા થીમ પર આધારિત છે,જેને લાલ તથા કાળા રંગથી રંગવામાં આવ્યો છે.
– એક જમાનામાં રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી
1947 પહેલાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જમાલપુર નિજ મંદિરેથી નીકળીને કેલિકો મીલ થઈ ગીતા મંદિરના રસ્તાથી રાયપુર,ખાડિયા,કાલુપુર પુલ પર થઈ સરસપુર પહોંચતી અને ત્યાં દર્શનાર્થીઓ ભોજન જમીને થોડો વિરામ લેતા હતા.થોડો સમય વિરામ કર્યા બાદ માનવ મહેરાણની વચ્ચે રથયાત્રા પ્રેમ દરવાજા,દરિયાપુર દરવાજા,દરિયાપુર,માધુપુરા, દિલ્હી દરવાજા,શાહપુર દરવાજા, દિલ્હી ચકલા, ઘી કાંટા એટલે એ જમાનામાં આવેલ કૃષ્ણ સિનેમા રિલીફ રોડથી આગળ થઈને રતનપોળમાં પ્રવેશ કરતી હતી.રતનપોળના નાકેથી ફુવારા, ચાંદલાઓળ, સાંકડીશેરી, રાયપુર ગેટ, રાયપુર દરવાજા, ગીતા મંદિર થઈ સાંજે નિજ મંદિરે પરત ફરતી હતી.
– અમદાવાદ રથયાત્રાનો રૂટ આ પ્રમાણે હોય છે
આજે સવારના સાત વાગ્યે મંદિરેથી રથયાત્રાની શરૂઆત થયા બાદ ખમાસા ગેટ,મ્યુનિસિપલ કચેરી,આસ્ટોડિયા ચકલા, રાયપુર, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, ડૉ. આંબેડકર હોલ, સરસપુર ચાર રસ્તાથી વિરામ સ્થળે પહોંચે છે.અહીંયા થોડો સમય વિરામ લીધા પછી રથયાત્રીઓ જય જગન્નાથજીના ગગનભેદી નારાઓ સાથે આગળની પરિક્રમા શરૂ કરે છે.સરસપુર ચાર રસ્તાથી ડૉ.આંબેડકર હોલ, કાલપુર સર્કલ, જોર્ડન રોડ, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઘીકાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, આર.સી. હાઇસ્કૂલ, માણેકચોક, ગોળલીમડા, દાણાપીઠ, ખમાસા થઈને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિજ મંદિરે પરત ફરે છે.
– અમદાવાદની રથયાત્રા મુસ્લિમ વિસ્તારમાથી શરુ થાય
ઓડિશાના પુરીમાં તેના મૂળ સંસ્કરણથી વિપરીત,જે મોટાભાગે હિન્દુ વિસ્તારમાંથી પસાર થાય છે,જ્યારે અમદાવાદની રથયાત્રા મુખ્યત્વે મુસ્લિમ વિસ્તારોમાંથી પસાર થાય છે.યાત્રાના મુખ્ય ઘટકોમાં – અખાડાના કલાકારો,ઉત્સાહી સહભાગીઓ ભજન મંડળીઓ,વિવિધ વેશભૂષા સાથે સંસ્કૃતિને વહન કરતી ટ્રકો,સૂત્રોચ્ચાર સાથે સાંકડી શેરીઓમાં જતા હાથીઓ એટલે કે ગજરાજ તથા ગુજરાત પોલીસ માટે આ રથયાત્રા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની તાલીમ જેવી બને છે.
– અમદાવાદની 3 કિમી જેટલી લાંબી રથયાત્રા
અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત થઈ ત્યારબાદ ધીમે ધીમે યાત્રાનો વધુને વધુ વિકાસ થયો છે,હવે લગભગ ત્રણ કિલોમીટરની લંબાઇ સાથે રથયાત્રા નિકળે છે,જેમાં 18 ગજરાજ,1200 ખલાસી,2000થી વધુ સાધુ સંતો,રેપિડ એક્શન ફોર્સ જેવા અર્ધલશ્કરી દળો સહિત લગભગ 20,000 પોલીસકર્મીઓ સુરક્ષામાં જોડાય છે.
– રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા
આ યાત્રા પહેલા સુરક્ષા કવાયત હાથ ધરવામાં આવે છે,જ્યાં બોમ્બ નિકાલ ટુકડીઓ અને સ્નિફર ડોગ્સ દ્વારા માર્ગની તપાસ કરવામાં આવે છે.આ યાત્રા ચોમાસાની શરૂઆતને પણ ચિહ્નિત કરતી હોવાથી,જોખમી ઈમારતોને ડિમોલિશન નોટિસ પણ આપવામાં આવે છે.ટેક્નોલોજીના વિકાસ સાથે,રથ પર GPS ઉપકરણો લગાવવામાં આવે છે,જેથી કરીને તેને શોભાયાત્રાને ટ્રેક કરી શકાય અને હવે ડ્રોન કેમેરા દ્વારા પણ તેની પર નજર રાખવામાં આવે છે.
– ગુજરાતના મુખ્યમંત્રી કરાવે છે પ્રારંભ
અમદાવાદમાં ગુજરાતના મુખ્યમંત્રી પહિન્દ વિધિ કરી રથ ખેંચી સવારે 7.05 કલાકે જમાલપુર ભગવાન જગન્નાથજીના મંદિરેથી રથયાત્રાનો શુભારંભ કરાવે છે.આ યાત્રા લઘુમતી પ્રભુત્વ ધરાવતા જમાલપુર વિસ્તારમાં જગન્નાથ મંદિરથી શરૂ થાય છે,જે 1411માં સુલતાન અહેમદ શાહ દ્વારા સ્થાપિત અમદાવાદના કિલ્લેબંધી રાજ્યમાંથી પસાર થઈ 14 કિલોમીટરનું એક-માર્ગી અંતર કવર કરીને,મૌસાળ તરીકે ઓળખાતા સરસપુર મંદિરે મામાના ઘરે પહોંચે છે.રથયાત્રા કુલ 18 કિમી ફરી નીજમંદિર પરત ફરે છે.અત્યાર સુધીમાં 17 મુખ્યમંત્રીઓએ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે.જેમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે.તો વળી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ પણ છે.હાલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ 148 મી રથયાત્રાને 27 જૂને પ્રારંભ કરાવશે.
– રથયાત્રા પ્રારંભે પહિંદવિધિની પરંપરા
અષાઢી બીજના દિવસે વહેલી મંગળા ભગવાન જગન્નાથજીની મહાઆરતી સવારે 4 વાગ્યે કરવામાં આવે છે તેને મંગળા આરતી કહેવાય છે.અને સામાન્ય રીતે રથયાત્રા 7 વાગ્યે નીકાળવામાં આવે છે.રથયાત્રા જ્યારે પ્રસ્થાન થાય ત્યારે પરંપરા મુજબ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધી કરવામાં આવે છે,જેમાં મુખ્યમંત્રી દ્વારા સોનાની સાવરણી થકી રથયાત્રાના માર્ગની પ્રતીકાત્મક સફાઈ કરવામાં આવે છે અને પછી રથનો પ્રારંભ થાય છે.રથયાત્રામાં,ભગવાન જગન્નાથનો રથ પહેલો હોય છે,ત્યારબાદ સુભદ્રા અને બલરામનો રથ આવે છે.અખાડા,હાથીઓ, સુશોભિત ટ્રક અને ભજન મંડળી પણ 14 કિમી લાંબી રથયાત્રામાં ભાગ લે છે.
– રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથની વિધિવત પ્રવૃતિઓ
શહેરનાં સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક,ઐતિહાસિક તથા પારંપરિક દિવ્ય 148 મી રથયાત્રા 27 જૂનના રોજ નિકળશે રથયાત્રાની પરંપરા મુજબ બધા જ શ્રધાળુ લોકો એમાં હર્ષોલ્લાસથી ભાગ લઈ પ્રેમ ભકિત,સદભાવના,ભાઈચારાથી લોકોત્સવ તરીકે ઉજવે છે.અષાઢી બીજના દિવસે અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે.ત્યારે રથયાત્રાના ત્રણ દિવસ પહેલા જગ્નનાથ મંદિરમાં અલગ અલગ વિધિઓ કરવામાં આવે છે.જેમાં અમાસના દિવસથી વિધિઓ શરુ કરી દેવામાં આવે છે.અમાસના દિવસે સવારે ભગવાન શ્રી જગન્નાથજી,સુભદ્રાજી અને બળદેવજીનું ગર્ભ ગૃહમાં રત્નવેદી ઉપર પતિષ્ઠા તથા નેત્રોત્સવ પૂજા વિધિ પછી વૈદિક મંત્રોચ્ચાર કરી ભગવાનના આંખે પાટા બાંધવાની વિધિ કરવામાં આવે છે.ત્યારબાદ ધ્વજારોહણવિધિ કરવામાં આવે છે.
– ભગવાનના સોનાવેશ દર્શન
એકમના દિવસે સોનાવેષના દર્શન અને ગજરાજપુજન,મંદિર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પુજન વિધિ,મહાઆરતી કરવામાં આવે છે.અને અષાઢી બીજના દિવસે રથ નીકળ્યા પહેલા પરમ પુનિત,સાંસ્કૃતિક એવું ઐતિહાસિક રથયાત્રા પ્રારંભની “પહિંદ” કરવામાં આવે છે.અને અષાઢી બીજના દિવસે અલગ અલગ કાર્યક્રમો પણ રાખવામાં આવે છે.અને ભગવાન જગ્ન્નાથને વિશિષ્ટ ભોગમાં ખિચડી ધરાવામાં આવે છે.જેમાં ભગવાન શ્રી જગન્નાથજીનો અતિપ્રિય આદિવાસી નૃત્ય કરવામાં આવે છે.અને ત્યારબાદ રથમાં ભગવાનનો પ્રવેશ કરાવવામાં આવે છે.રથમાં ભગવાનને બેસાડ્યા પછી ભગવાનને આંખે બાંધેલા પાટા ખોલવાની વિધિ કરવામાં આવે છે.અને રથયાત્રાનો શુભારંભ કરવામાં આવે છે.આ એક જનપર્વ છે, દરેક લોકો પોતાની અલગ અલગ પ્રવૃતિઓ થકી સામાજિક,સાંસ્કૃતિક,ધાર્મિક, રીતે આ રથયાત્રામાં જોડાય છે.લોકોમાં રહેલી અલગ અલગ કળા દર્શાવતો આ પર્વ છે.
– ભગવાનના અભિષેક માટે જળયાત્રા
ભગવાન જગન્નાથ,બલરામ અને સુભદ્રા પ્રતીકાત્મક રીતે મામાના ઘરે જવા સારંગપુર રવાના થાય છે,તે દિવસથી મંદિરમાં દર્શન બંધ થાય છે.પ્રભુની જળયાત્રા માટે સરઘસ સાથે સાબરમતી નદી પર આવે છે અને ગંગા પૂજન કરે છે.વૈદિક મંત્રોનો જાપ કરીને ષોડષોપચાર પૂજનવિધિ કર્યા પછી,પ્રતીકાત્મક રીતે ભગવાનને તેમના મામાના ઘરે મોકલવામાં આવે છે.આ વર્ષે જ્યારે 148 મી રથયાત્રી પહેલા યોજાયેલ જળયાત્રામાં હોડી ને બદલે પ્રથમવાર ક્રૂઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.જળ યાત્રામાં 108 કળશ ભરીને જળ નિજ મંદિરે લવાય છે અને ભગવાન જગન્નાથજીને જયેષ્ઠી અભિષેક કરવામાં આવે છે.તેમાં પંચામૃતનો ઉપયોગ પણ કરાય છે બાદમાં જળથી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે.
– ભગવાનની નેત્રોત્સવ વિધિ
રથયાત્રાના બે દિવસ પહેલાં,મૂર્તિઓ પર નેત્રોત્સવની રીત યોજવામાં આવે છે.પ્રચલિત માન્યતા અનુસાર,મોસાળમાં વધુ પડતાં જાંબુ અને બોર ખઈને ભગવાનને નેત્રદાહ થઈ જાય છે.તેથી,કપડાં થી આંખો આવરીને,નેત્રોત્સવ પૂજન દરમિયાન મૂર્તિઓ માટે પ્રતીકાત્મક રીતે તેની સારવાર કરવામાં આવે છે.નેત્રોસ્તવમાં ભગવાન જગન્નાથ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની આંખો પર પાટા બાંધવામાં આવે છે અને તેમનો પ્રતિકાત્મક ઉપાય કરવામાં આવે છે.
– કેવી રીતે બન્યું સરસપુર ભગવાનનું મોસાળ ?
વર્ષો પહેલા બહુ નાના પાયે શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવાતા હતા.જેમાં સાધુસંતો ભાગ લેતા હતા.તે સમયે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુસંતોનું રસોડું રાખવામાં આવતું હતું. બસ તે સમયથી જ સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ બની ગયું.હવે સરસપુરની તમામ પોળોના રહિશો રથયાત્રામાં જોડાયેલા ભક્તોને પ્રેમભાવથી જમાડે છે.આ સરસપુર ખાતે ભગવાનનું રૂડુ મામેરુ ભરાય છે.જેમાં ભગવાનને વસ્ત્ર,અંલકાર,આભૂષણ સહિતની ભેટ સોગાદ મોસાળ તરફથી આપવામાં આવે છે.આ માટે દાતા જાહેર કરવામાં આવે છે નોંધનિય છે કે અમદાવાદમાં વર્ષ 2032 સુધીના દાતાઓ નક્કી થઈ ગયા છે.જેઓ ભગવાનના મામા બનવાનો લ્હાવો લેશે.
– મુસ્લિમો દ્વારા ચાંદીનો રથ આપવાની પરંપરા
વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે રઉફ શેખ બંગાળીની આગેવાની હેઠળ મુસ્લિમ સંપ્રદાયનાં લોકોએ મહંત દિલીપદાસજીને ચાંદીનો રથ આપીને કોમી એકતા અને ભાઇચારાનો સંદેશ આપ્યો છે.મુસ્લિમ સમાજ તરફથી ઘણા વર્ષથીચાંદીનો રથ જગન્નાથ મંદિરમાં ભેટ આપવામાં આવે છે.બીજી તરફ રમજાનના દિવસોમાં મહંત દિલીપદાસજી મુસ્લિમ સમાજના લોકો વચ્ચે ઇફતારીમાં ભાગ લેવા જાય છે.
– અષાઢી બીજનો પવિત્ર દિવસ નક્કી કરાયો
આ યાત્રાનું આયોજન અષાઢ શુક્લ દ્વિતિયા અથવા અષાઢી બીજના દિવસે કરવામાં આવે છે,જે કચ્છી નવા વર્ષ તરીકે પણ ઓળખાય છે.એવું માનવામાં આવે છે કે,વર્ષનો આ એકમાત્ર દિવસ છે જ્યારે ભગવાન તેમના રથ પર બિરાજમાન થઈ ભક્તોને મળવા માટે બહાર આવે છે,ખાસ કરીને એવા લોકો માટે, જે શારીરિક રીતે અશક્ત છે અને મંદિરમાં આવવા માટે અસમર્થ છે.પુરીમાં પરંપરા મુજબ,અગાઉના કલિંગ રાજ્યના રાજા – ગજપતિ – પાસે ચેરા પહેનરા દ્વારા રથની સફાઈ કરવામાં આવે છે, જેને અમદાવાદમાં પહિંદ પદ્ધતિ કહેવામાં આવે છે,રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે.અમદાવાદમાં યાત્રા પહેલા મુસ્લિમ આગેવાનો સાંપ્રદાયિક સૌહાર્દના પ્રતીક તરીકે મહંતને ચાંદીનો રથ અર્પણ કરવા જાય છે.
– અમદાવાદ રથયાત્રા અને કોમી રમખાણ
અમદાવાદ રથયાત્રા દરમિયાન વર્ષો પહેલા કોમી રમખાણો થતા હતા જેમાં સૌ પ્રથમ વખત વર્ષ 1946 માં,બે સમુદાયો વચ્ચેના વિવાદને પગલે આ યાત્રાએ કોમી રમખાણોને વેગ આપ્યો હતો,જેમાં બે યુવાનો મૃત્યુ પામ્યા હતા.વસંતરાવ હેગિષ્ટે અને રજબ અલી લાખાણી હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસમાં મૃત્યુ પામ્યા હતા.
તો વર્ષ 1969 માં,ઉર્સના છેલ્લા દિવસે,એક કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું.જગન્નાથ મંદિરની ગાયો,જે તે જ માર્ગ દ્વારા ઘરે પરત ફરી રહી હતી,જેના કારણે વિરોધ થયો હતો.તે ગુજરાતના સૌથી ભયાનક કોમી રમખાણો પૈકીનું એક હતું.ત્યારબાદ રથયાત્રા આવી તો ચિંતા હતી કે ફરી કોમી રમખાણ ફાટી નીકળશે,આ સમયે કાશ્મીરથી ખાન અબ્દુલ ગફ્ફારને શાંતી સ્થાપવાના ઈકાદે બોલાવવામાં આવ્યા હતા,અને પરિણામ સારૂ રહ્યું અને શાંતીપૂર્ણ રીતે રથયાત્રા નીકળી હતી.
– કોમી રમખાણો વચ્ચે રૂટ બદલવાના પ્રયાસો નિરર્રથક રહ્યા
કોમી તણાવના સમયે યાત્રાનો રૂટ બદલવા અથવા ઘટાડવાના પ્રયાસો નિરર્થક રહ્યા છે કારણ કે, શોભાયાત્રાને સંવાદિતાના સંકેત તરીકે જોવામાં આવે છે.1985માં,જ્યારે શહેર કોમી રમખાણોની પકડમાં હતું,ત્યારે યાત્રાને બંધ કરવાની પોલીસની સલાહને જમણેરી દળો દ્વારા રદ કરવામાં આવી હતી અને યાત્રા ભારે પોલીસ સુરક્ષા હેઠળ શરૂ કરવામાં આવી હતી.
એ જ રીતે 2002 માં,અમદાવાદના તત્કાલિન પોલીસ કમિશનર કે.આર. કૌશિકે યાત્રાને રદ કરવા અથવા ડાયવર્ઝન કરવાની સલાહ આપી હતી,પરંતુ મંદિરના પૂજારીઓ,VHP અને રાજકીય નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો.તે વર્ષે જ બોર્ડની પરીક્ષાના શાંતિપૂર્ણ સંચાલન બાદ,2002ના લોહિયાળ રમખાણો કે જેમાં લગભગ 1,200 લોકોના મોત થયા હતા,તે પછી આ યાત્રાને ગુજરાતમાં શાંતિના બીજા માપદંડ તરીકે જોવામાં આવી હતી.
– છેલ્લા 30 વર્ષથી ગુજરાત અને અમદાવાદમાં શાંતિ
હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસન બાદથી છેલ્લા 30 વર્ષોમાં ગુજરાત અને અમદાવાદમાં જે સુખ-શાંતિ રહી છે .વર્ષ 2001 પછીથી રથયાત્રા દરમિયાન કોઈ મોટી અનિચ્છનિય ઘટના સર્જી નથી.1993માં રથો ઉપર બંદૂકથી ગોળીબાર ન થાય તે માટે તેની ફરતે બુલેટપ્રૂફ કાચ ગોઠવવામાં આવ્યા હતા.હિંસક ભીડ દ્વારા રથને ખેંચી જવામાં આવ્યા હતા.આ ઘટનાને પગલે ફાટી નીકળેલાં તોફાનો મહિનાઓ સુધી ચાલ્યા હતા.ત્યારબાદ 2001 પછીથી રથયાત્રા દરમિયાન કોઈ મોટો અનિચ્છનિય બનાવ નથી બન્યો.દરવર્ષે આ રેકર્ડ જળવાય રહે તે જોવાની ફરજ માત્ર સરકાર કે પોલીસતંત્રની નથી હોતી તેની સાથે નાગરિકોની પણ એટલી જ જવાબદારી બને છે.
– કોરોનાકાળમાં રથયાત્રાનો રૂટ ટૂંકાવાયો હતો
આમ તો અદવાવાદ ખાતે યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારેય બંધ નથી રહી.હા જરૂર પડ્યે તેના રૂટ ટૂકાવવામાં આવ્યા છે અથવા તો બદલાયા છે.પરંતુ તેવા કિસ્સા નહીવત છે.જે વખતે દેશમાં કોરોના મહામારી ફ્લાઈ તે વખતે રાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટ તેમજ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો હતો કે લોક હિત માટે રથયાત્રાને માત્ર પ્રતિક રૂપે જગન્નાથ મંદિર પરિસરમાં જ પરિક્રમા કરવાવવામાં આવે અને તેથી તે વખતે શહેરમાં નગરચર્યાને બદલે માત્ર મંદિર પરિસરમાં જ પરિક્રમા કરી ભગવાનને નિજ મંદિરમાં લઈ જવાયા હતા.તો આ વર્ષે એટલે કે વર્ષ 2025માં પણ કોરોનાએ માથુ ઉંચક્યુ છે ત્યારે રાજ્યના આરોગ્યમંત્રીએ રૂબરુ દર્શન કરવાને બદલે ટીવી પર ભગવાનના દર્શન કરવા અપીલ કરી છે. જેથી મહામારી વધુ ફેલાય નહી.
– જાણો જગન્નાથપુરી અને અમદાવાદની રથયાત્રાનો ઈતિહાસ
ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે આમ તો અનેક રાજ્યોમા નીકળે છે. પરંતુ બે સ્થાનની રથ યાત્રા ખૂબ જ જાણીતી છે અને એ છે એક ઓરિસ્સામાં આવેલ જગન્નાથપુરીની રથયાત્રા અને ગુજરાતના અમદાવાદમાં નીકળતી રથયાત્રા. રથયાત્રા દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે.હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ,બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે.
ભગવાન જગન્નાથની આ રથયાત્રા વિશે કેટલીક રસપ્રદ વાતો જે ખરેખર જાણવા જેવી છેજ્યારે ‘ જય જગન્નાથ’ના ગગનભેદી ઉચ્ચારો ઘંટો,ઝાંઝ,નગારાં,ઢોલક અને બીજાં વાજિંત્રોના ધ્વનિથી વાતાવરણ ગૂંજતું હોય છે,ત્યારે ભગવાન શ્રી જગન્નાથ,એમના મોટાભાઈ બલભદ્ર તથા નાની બહેન સુભદ્રા સાથે એમના નિર્ધારિત સ્થાન ગુંડીચા ઘર તરફ જતા હોય છે.ત્રણે દેવો જુદા જુદા રથોમાં પ્રયાણ કરતા હોય છે.ગુંડીચા ઘરમાં પખવાડિયું રહ્યા પછી ત્રણે દેવ – દેવી પોતપોતાના રથમાં, ધામધૂમથી પોતપોતાના મંદિરમાં જતાં હોય છે.પુરીમાં હોય છે તેમ આ ત્રણ દેવતાઓનું અસ્થાયી નિવાસસ્થાન પણ ગુંડીચા ઘર તરીકે ઓળખાય છે.
– હિન્દુઓ માટે રથયાત્રા એક મહાપર્વ
અમદાવાદ 27 જૂને ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે.ભરતભારની સૌથી મોટી જગન્નાથ ભગવાનની રથયાત્રા પૂરીમાં થાય છે અને ત્યારબાદ અમદાવાદમાં થાય છે.હિન્દુઓ આ દિવસને મહાપર્વ તરીકે પણ ઉજવે છે.આ દરમિયાન ભગવાન જનગન્નાથની રથયાત્રા યોજાય છે.આ રથયાત્રા એ હિન્દુ લોકો માટે અતિ મહત્વનો દિવસ છે.રથયાત્રા દરમિયાન લોકો સેવા માટે મોટી સંખ્યામાં ભાગ લે છે.તો રથયાત્રાના રૂટ પર શરબત,પાણી,પ્રસાદ,અલ્પાહાર વગેરેના વિનામુલ્યે સ્ટોલ ગોઠવે છે.તો ગમે તે પરિસ્થિતિમાં પણ લોકો ભગવાનના દર્શન કરવા અચૂક આવે છે.તેથી જ આ હિન્દુઓ માટે મહાપર્વ છે.